વડોદરામાં ઉભેલી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. જો કે, આ બસમાં કોઇ મુસાફર ન હોવાથી કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. આ ઘટનાની જાણકારી ફાયરને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના નિઝામપુરા મારૂતિનગર કોમ્પલેક્ષ પાસે એક ટ્રાવેલ્સની લક્ઝરી બસ સર્વિસ કરાવીને ઊભી હતી. તે વેળા અચાનક જ આ લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. આ લાગતા જ આસપાસના લોકોમાં ભારે દોડધામ જોવા મળી હતી. આ આગની ઘટના બાદ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ભેગી થઈ ગયા હતા. તો બનાવની જાણ થતા જ વડોદરા ફાયર ટીપી 13 ફાયર સ્ટેશન અને વડીવાડી ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી. જેથી લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને બસ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
જો કે આ બસમાં કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજી જાણી શકાયું નથી. આ આગ શોર્ટ સર્કિટ અને ભારે ગરમીના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.