રાજયમાં છેલ્લા કેટલાક સમયથી આકાશમાંથી ગોળા પડી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં ત્રણ જિલ્લાઓમાં આ ગોળા પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ આવો જ ગોળો પડ્યો હતો. તંત્ર દ્વારા ગોળાની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો પણ નિર્ણય કરાયો છે.
આ ગોળા પડવાની શરુઆત સૌ પ્રથમ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવામાંથી અલગ અલગ ત્રણ ગોળા મળી આવ્યા હતા. આ મામલાની તપાસ પૂર્ણ થાય તે પહેલા જ નડિયાદ જિલ્લાના ભૂમેલ ગામની સીમમાં એક વાડીમાં એક ગોળો પડ્યો હતો. ત્યારબાદ આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરિયાની વાડીમાંથી ભેદી પદાર્થ પડ્યો હતો. રાજ્યમાં સતત ચાર દિવસથી અવકાશમાંથી ભેદી પદાર્થ વરસવાનું ચાલુ રહેતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયું છે.
આણંદ અને ખેડા બાદ સુરેન્દ્રનગરના સાયલામાં અવકાશમાંથી ગોળા વરસતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહુલ સર્જાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયાની વાડીમાં ઉપર આભમાંથી ભેદી ગોળા વરસતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા આ ભેદી ગોળા જેવા પદાર્થને જોવા એમની વાડીએ દોડી ગયા હતા.