બદ્રીધામમાં કર્ણપ્રયાગના પંચપુલિયા નજીક પહાડી પરથી પથ્થરો પડવાને કારણે નેશનલ હાઈવે 7 પર વાહનવ્યવહાર ખોરવાયા હતો. જેના પગલે મંગળવારના રોજ બદ્રીનાથની ચાર ધામ યાત્રાને રોકી દેવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા યાત્રા પુન: શરૂ કરવા માટેનો માર્ગ ફરીથી ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પથ્થર પાડવાની ઘટનાના એક દિવસ પહેલા, સોમવારે યાત્રાધામમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે યાત્રા એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. આગલા દિવસની સરખામણીમાં સારું વાતાવરણ જોવા મળતાં મંગળવારથી યાત્રા ફરી શરૂ થઈ હતી. જો કે, હનુમાનચટ્ટીમાંથી પડતા પથ્થરોએ લામ્બાગઢ નાળામાં પાણીના સ્તરમાં વધારો થવા સાથે હાઇવેના રસ્તા પર યાત્રા અવરોધિત કરી હતી. જે બાદ યાત્રાને ફરી એકવાર અટકાવવાની ફરજ પડી હતી.
ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, સવારે હવામાન સાફ થતાં જ મંગળવારે 114થી વધુ વાહનો બદ્રીનાથથી રવાના થયા હતા.
ભગવાન વિષ્ણુને સમર્પિત બદ્રીનાથ મંદિર હિંદુઓ માટે મહત્વના ચાર તીર્થસ્થાનોમાંનું એક છે. આ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઢવાલ પહાડી ટ્રેક પર અલકનંદા નદીના કિનારે પ્રસ્થાપિત થયેલું છે.
ચાર તીર્થસ્થાનોને સામૂહિક રીતે “ચારધામ” તરીકે ઓળખવામાં આવે છે, જેમાં યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે.
આ વર્ષે, યાત્રાધામ – બદ્રીનાથના દરવાજા 8 મેથી ખુલ્લા કરવામાં આવ્યા હતા અને રાજ્યના અધિકારીઓએ જાહેર કર્યું હતું કે આ વખતે ધામની વહન ક્ષમતા દરરોજ 16,000 થી વધુ ભક્તોની રાખવામાં આવી છે. મંદિર લગભગ છ મહિના માટે ખુલ્લું રાખવામાં આવે છે, જે એપ્રિલના અંત સુધીમાં ખુલે છે અને નવેમ્બરની શરૂઆતમાં બંધ થઈ જાય છે.