અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસમાં ચાર અંગદાન કર્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ જાગૃતતા રાજય સરકારે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે જોવા મળી રહી છે. તારીખ 15થી 18 જૂન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક અંગદાન થઈ રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ 18મી જૂનના રોજ અંગદાન થયું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં થયેલ 71 થી 74માં અંગદાનની સમગ્ર વિગતો આ પ્રમાણે છે. જેમાં 71માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંજયકુમાર ગોહિલના અંગદાનથી હ્યદય, બંને કિડની અને લીવર, 72માં અંગદાનમાં મહેસાણાના મનોજભાઇ પરમારના અંગદાનમાં હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડ, 73માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંગીતાબેન વનાલીયાના અંગદાનમાં હ્યદય, બંને કિડની અને લીવર, 74 માં અંગદાનમાં અમદાવાદના 25 વર્ષીય રાહુલભાઇ રાજભરના લીવરનું દાન મળ્યું છે.
આ ચારેય દર્દીઓના કિસ્સામાં ખાસ નોંધનીય બાબત એ હતી કે, બ્રેઇનડેડ થયા બાદ અંગદાન માટે પરિજનોનું જે કાઉન્સેલીંગ કરવું પડે છે તેમાં ગણતરીના કલાકોમાં જ પરિજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. આ તમામ અંગદાતાઓના પરિજનો અંગદાનના મહત્વથી વાકેફ હતા.
જ્યારે અમદાવાદની ખાનગી કે.ડી. હોસ્પિટલમાં થયેલા અંગદાનમાં રસપ્રદ બાબત એ છે કે, દલ્લુ વિનાયગમ કે જેઓ હાઇકોર્ટના પૂર્વ કર્મચારી હતા અને મેરેથોન તેમજ સ્વિમિંગની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા તેઓ જ્યારે બ્રેઇનડેડ થયા ત્યારે તેમના પરિવારજનોએ સ્વૈચ્છાએ અંગદાન માટે ઇચ્છા દર્શાવી હતી. છેલ્લા કેટલાય સમયથી મીડિયાના માધ્યમથી અંગદાન અંગે વાંચતા તેઓ અંગદાનનું મહત્વ સમજતા હતા અને જ્યારે દલ્લુભાઇ વિનાયગમ 16 જૂનના રોજ બ્રેઇનડેડ થયા ત્યારે અન્યોને ઉપયોગી બનવા તેમના પરિજનોએ અંગદાનની ઇચ્છા દર્શાવી. જેમના અંગદાનમાં બંને કિડની, લીવર અને બંને કોર્નિયાનું દાન મળ્યું છે.