ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 184 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે જે ચિંતાજનક છે. 112 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 12 લાખ 26 હજાર 712 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે.
કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ શહેરમાં સૌથી વધારે 91 કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 18, સુરત શહેરમાં 16, રાજકોટ શહેરમાં 10, ગાંધીનગર શહેરમાં 7, કચ્છમાં 4, સુરત ગ્રામ્યમાં 4, વલસાડમાં 4, અમદાવાગ ગ્રામ્યમાં 3, ભરૂચમાં 3, ગાંધીનગર ગ્રામ્યમાં 3, જામનગર જિલ્લામાં 5, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારીમાં બે-બે, ભાવનગર, મહેસાણા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો અમદાવાદમાં એકનું મોત થયું છે.
નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 991 પર પહોંચી ગયા છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1214775 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.03 ટકા છે.