ત્રણ વર્ષના લગ્ન જીવનમાં પતિ અને સાસુના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક મહિલાની માતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતકના સાસુ અને પતિના વિરુદ્ધમાં દુષ્પ્રેરણાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાનના અને હાલ ગાંધીનગરના ચરાડા ગામમાં રહેતા લીલાબેન જુના કપડાં લઈને બદલામાં વાસણ આપવાનો વેપાર કરે છે. લલિતાબેનની દીકરી સંગીતાના ત્રણ વર્ષ પહેલાં અમરાઇવાડી ખાતે રહેતા સંપત ઉર્ફે આઝાદ ધર્મદાસ વાઘેલા સાથે લગ્ન કરાવ્યા હતા. સંપતે 6 મહિના સુધી સંગીતાને સારી રીતે રાખી હતી.
બાદમાં ઘરકામ બાબતે મેણાટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ પણ સંપતનું ઉપરાણું લઈ સંગીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળેલી સંગીતાએ માતા લીલાબેનને ફોન કરી આ અંગે જાણ કરી હતી. દીકરીનું ઘરસંસાર ન બગડે તે માટે લીલાબેને સંગીતાને સમજાવી સાસરીમાં રહેવા જણાવ્યું હતું. જેથી સંગીતા પતિ અને સાસુનો ત્રાસ સહન કરતી હતી.
આખરે અસહ્ય ત્રાસથી કંટાળી સંગીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાતની જાણ પતિને થતાં તે તેને સારવાર માટે લઇ ગયો હતો. આ દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી. આ અંગે સંગીતની માતાને જાણ થઇ હતી. આ અંગે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાઇ હતી.