ભારતને પેગસિસ વિશે સૌથી પહેલા ત્યારે જાણવા મળ્યું જ્યારે અમેરિકામાં વોટ્સએપે કેલિફોર્નિયાની એક કોર્ટમાં આરોપ મૂક્યો કે ઇઝરાયલી ગ્રૂપે 1400થી વધારે યુઝર્સને આ સ્પાયવેર દ્વારા નિશાન બનાવ્યા હતા. આ 2019ની વાત છે.
આ અગાઉ યુએઈમાં એક માનવાધિકાર ચળવળકર્તાને તેમના આઇફોન-6 પર એક મેસેજ મળ્યો હતો. પેગસિસ ટૂલે એપલની સિસ્ટમમાં રહેલી ખામીનો ઉપયોગ કરીને તેમાં પ્રવેશ કર્યો હતો. તેના પર એક ક્લિક કરતાની સાથે જ તમે આ જાસૂસી સોફ્ટવેરના સકંજામાં આવી જાવ.
વોટ્સએપે ભારતમાં સર્વેલન્સ હેઠળના લોકોના નામ તથા તેની સંખ્યા જણાવવાનો ઈનકાર કર્યો હતો ત્યારે તેણે પુષ્ટિ કરી હતી કે ટાર્ગેટ બનાવાયેલા બધા લોકોનો વોટ્સએપે સંપર્ક કર્યો હતો અને તેમને જાણ કરી હતી. તે સમયે ભારતમાં આ અહેવાલ સૌથી પહેલા ઇન્ડિયન એક્સપ્રેસે આપ્યો હતો.
ટોરંટો યુનિવર્સિટી ખાતે સિટિઝન લેબે વોટ્સએપને આ સાઈબર એટેકની તપાસ કરવામાં મદદ કરી હતી. પેગસિસ એ ઇઝરાયલ સ્થિત એનએસઓ જૂથનું મુખ્ય સ્પાયવેર છે. તે ક્યુ સ્યુટ અને ટ્રાઇડન્ટ તરીકે પણ ઓળખાય છે. પેગસિસ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ બંનેમાં પ્રવેશ કરી શકે છે અને મોબાઈલ ડિવાઈસને ટાર્ગેટ બનાવવા વિવિધ રસ્તા અજમાવે છે.
સિટિઝન લેબનું કહેવું છે કે ભૂતકાળમાં સિમ્બિયન ફોનમાં પણ આ સોફ્ટવેરનો ઉપયોગ થયો હોઈ શકે છે. તેમના અગાઉના વર્ઝન એટલા અપડેટેડ નહીં હોય પરંતુ રિસર્ચ લેબોરેટરી માને છે કે 2016 અગાઉ ભારતમાં બ્લેકબેરીમાં પણ તેનો પ્રવેશ થયો હશે.