ગત રવિવારના રોજ મળેલી સભામાં કુવરજી બાવળિયાને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે આજે રાજકોટ ખાતે સર્કિટ હાઉસમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બાવળિયાએ સાફ શબ્દોમાં કહ્યું કે, સમાજનો પ્રમુખ તો હું જ રહીશ અને સમાજ માટે આગળ પણ કામ કરતો રહીશે.
કુવરજી બાવળિયાએ જણાવ્યું કે, હાલમાં જે પણ વિવાદ ચાલી રહ્યો છે તે પુરો થયો છે. મારી અને અજીતભાઇ વચ્ચે જે ગેરસમજ હતી તે હવે દૂર થઇ ગઇ છે. આગામી દિવસોમાં જ્યારે કોર્ટ મુદ્દત આવશે ત્યારે આ કેસ અજીત પટેલ દ્વારા પરત ખેંચી લેવામાં આવશે અને ત્યારબાદ સમાજ જે નક્કી કરશે તે પ્રમાણે ઇલેકશન અથવા તો સિલેકશન થશે.
તમને જણાવી દઈએ કે, કોળી સમાજના નવા પ્રમુખ અજીત પટેલે કુવરજી બાવળિયા સામે આક્ષેપો કર્યા હતા. તેઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કુંવરજી બાવળિયા ત્રણ ટર્મ સુધી સમાજના પ્રમુખ રહ્યા બાદ 10 જૂન 2020ના રોજ તેમનો કાર્યકાર પૂર્ણ થતો હોવા છતાં એક વર્ષ માટે કાર્યકાર લંબાવ્યા બાદ 10 જૂન 2021ના રોજ કાર્યકાર પૂર્ણ થયા બાદ પ્રમુખ ન હોવા છતાં પોતાને પ્રમુખ માની મનસ્વી રીતે સંગઠનની ખોટી રીતે કામગીરી કરતાં આવ્યા છે.’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અજમેર ખાતે જનરલ સભા બોલાવવાનો વિરોધ કરી સદર સભા દિલ્હી ખાતે બોલાવવાની ખોટી જીદ કર્યા બાદ તેઓ સતત સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા. સાથે જ મનસ્વી રીતે દિલ્હી ખાતે બેઠક બોલાવી કેટલાક માનીતા લોકોને હાજર રાખી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાનું ખોટું ચલાવતા હતા. આટલું જ નહીં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્ર્મનો પણ તેમણે વિરોધ કર્યો હતો. ત્યારે આ બાબતને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના હોદ્દેદારો સાથે સમાજના આગેવાનોએ ખુબ જ ગંભીરતાથી લીધી હતી.