ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં બસ ગણતરીના જ મહિનાઓ બાકી બચ્યા છે. ત્યારે પાટીદાર સમાજે 50 ટિકિટની માંગ કરી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાના પ્રમુખ જયરામ પટેલે આ નિવેદન આપ્યું છે.
જામનગરના સિદસર ઉમિયા ધામ ટ્રસ્ટના પ્રમુખ જયરામ પટેલે જણાવ્યું હતું કે, 50 સીટો પર પાટીદારના મતદારો બહુમતીમાં છે. જ્યારે 25 સીટો પર તેમની બહુમતી ન હોવા છતાં પણ નિર્ણાયક સ્થિતિમાં છે.
જયરામ પટેલે અમદાવાદ ખાતે પત્રકારોને જણાવ્યું હ્યુ કે, પાટીદારોને લાગે છે કે ભાજપે આગામી ચૂંટણીમાં પાટીદાર સમુદાયમાંથી ઓછામાં ઓછા 50 ઉમેદવારોને નામાંકિત કરવા જોઈએ. આ અમારી માંગ છે. જો કે અંતિમ નિર્ણય તો સત્તાપક્ષ ભાજપ લેશે.
પટેલે જણાવ્યું કે, 2017 ની ગુજરાત (Gujarat) વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદાર સમાજે 50 બેઠકની માંગણી ભાજપ પાસે કરી હતી જેના અંતર્ગત 50 ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા 2017 ની ચૂંટણીમાં આપવામાં આવી હતી.
પટેલે કહ્યું, પાટીદાર આંદોલનને કારણે ભાજપે મેદાનમાં ઉતારેલા 50 માંથી 35 પાટીદારો જીત્યા હતા. સામાન્ય રીતે 40 જીતે છે. આગળ તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ભાજપ રાજકોટ પશ્ચિમ બેઠક પર એક પાટીદારને મેદાનમાં ઉતરે જ્યાં પાટીદારોની બહુમતી છે.
હાલમાં રાજકોટ પશ્ચિમ બેઠક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે છે, જે જૈન છે. જો કે તેમણે કહ્યું કે, રૂપાણીને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવશે તો સમુદાય કોઈ વાંધો ઉઠાવશે નહી. તેમણે કહ્યું કે, પાટીદારો ગુજરાતની વસ્તીના માત્ર 18 ટકા છે, પરંતુ તેઓનો પ્રભાવ સંખ્યા કરતા વધારે છે.
આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસ ઊંઘતા ઝડપાયા અને આપે દસ ઉમેદવારો જાહેર કર્યા