વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિરના દર્શને આવતા હોય છે.
આ અંગે પીએમ ઓફિસમાંથી જણાવ્યું હતુ કે, વડા પ્રધાન મોદી 21 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન આ પ્રસંગે સંબોધન કરશે. PMOએ જણાવ્યું હતું કે નવા સર્કિટ હાઉસની જરૂરિયાત અનુભવાઈ હતી કારણ કે હાલની સરકારી સુવિધા મંદિરથી દૂર સ્થિત છે.
આ સર્કિટ હાઉસ રૂ. 30 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે સોમનાથ મંદિર પાસે આવેલું છે. તે સ્યુટ, વીઆઈપી અને ડીલક્સ રૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ હોલ વગેરે સહિત ટોચની કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લેન્ડસ્કેપિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે દરેક રૂમમાંથી સમુદ્રનો નજારો માળી શકાશે.