કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. આજે ત્રીજા દિવસે પણ પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજયપાલ આચાર્ય દેવવ્રતને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછને લઈને રાજ્યપાલ સાથે મુલાકાત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે રાજકીય કિન્નાખોરી માટે તપાસ એજન્સીઓનો સરકાર દ્વારા દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી ઈડી રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. વર્ષો જૂના કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સોનિયા ગાંધી બીમાર છે છતાં ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે રાહુલ અને સોનિયા ગાંધીને ડરાવીને નોટિસ આપવામાં આવી છે. સાથે કોંગ્રેસે સમગ્ર ગુજરાતના જિલ્લા મથકે વિરોધ કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી.