વડાપ્રધાન મોદીના વતન વડનગરને વૈશ્વિક ઓળખ આપવા ત્રિ – દિવસી ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ યોજાઈ છે. કૉન્ફરન્સથી મળેલી માહિતી અનુસાર યુનેસ્કો વર્ષ 2023માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતી ઊજવશે, જેમાં ભારત (India) સરકાર ગુજરાતી ગરબાની લોકપરંપરાનું નામાંકન કરશે.
ગુજરાત એ ભારતમાં (India) સૌથી વધુ વિશ્વ ધરોહર શિલાલેખો ધરાવતું રાજ્ય છે, જ્યાં ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક- સાંસ્કૃતિક વારસો ધરાવતાં સ્થળો આવેલાં છે, જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. ગુજરાતની ઓળખ સમાન ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા છે. ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડિંગ ઑફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુતાન, માલદિવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.
વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની જાહેરાત કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે.
આ પણ વાંચો: હાર્દિક પટેલની ભડાસઃ કોંગ્રેસની માનસિકતા ગુજરાતી અને હિંદુ વિરોધી