બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકામાં વસેલા પીલૂડા ગામમાં એક જ પરિવારના 4 સદસ્યોએ સામુહિક આપઘાત કરવાના સમાચાર સામે છે. પરિવારે વામી ગામ નજીક થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી, જેમાં 30 વર્ષીય કાળુભાઈ પંડયા, તેમની પત્ની ગીતબેન પંડયા, તેમની એક 4 વર્ષની અને એક દોઢ વર્ષની બાળકી સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું.
30 વર્ષીય કાળુભાઈ તેમના પરિવાર સાથે રોજિંદા મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. માહિતી અનુસાર રવિવારના બપોરના સમયે કાળુભાઈ તેમની પત્ની અને બંને દીકરીઓને મોટરસાઈકલ ઉપર બેસાડી વામી નજીક નર્મદાની મુખ્ય કેનાલ પાસે ગયા હતા. જેમાં તેઓએ પોતાની પત્ની અને બંને દીકરીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું.એક જ પરિવારના ચાર સભ્યો નર્મદાની કેનાલમાં ઝંપલાવાતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતના કુલ 8 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
આ ઘટનાને આજુબાજુના ખેડૂતો અને લોકો જોઇ જતાં બૂમાબૂમ થઈ હતી. આ બાબતની જાણ થતાં થરાદ નગરપાલિકાના તરવૈયાયાઓએ અને ફાયર વિભાગની ટીમે નર્મદા કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.ચાર કલાકની શોધખોળ બાદ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે.
પરિવારે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ કશું જ જાણવા મળ્યું નથી.હાલ તો પોલીસે ચારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.